ભરૂચ – બુધવાર – ભરૂચ જિલ્લામાં આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ—જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ભરૂચ, અંકલેશ્વર, જંબુસર તથા આમોદ નગરપાલિકાનો સમાવેશ થાય છે. તેમાં મહત્તમ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ‘સ્વીપ’ (SVEEP) પ્રવૃત્તિઓ વેગવંત બનાવવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે અંકલેશ્વરના ભડકોદરા સ્થિત શાહીનપાર્ક સોસાયટી ખાતે રહીશો સાથે વિશેષ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સ્વિપ નોડલ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સોસાયટીના રહીશોને મતદાન પ્રક્રિયા વિશે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકશાહીના મજબૂતીકરણ માટે દરેક નાગરિકનો મત કિંમતી છે. તેમણે ઉપસ્થિત તમામ મતદારોને ૨૬ એપ્રિલના રોજ પરિવાર સાથે મતદાન કરવા અને સોસાયટીના તમામ નોંધાયેલા મતદારો આ પ્રક્રિયામાં જોડાય તે માટે વહીવટી તંત્ર વતી નમ્ર અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન યુવા મતદારો પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. જે નાગરિકોના નામ હજુ સુધી મતદારયાદીમાં નોંધાયા નથી, તેમને ફોર્મ નંબર ૬ ભરીને નોંધણી કરાવવાની પ્રક્રિયા અંગે સ્વિપ નોડલ અધિકારી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે સોસાયટીના રહીશોએ રાષ્ટ્રના હિતમાં અને લોકશાહીની ગરિમા જાળવવા માટે કોઈ પણ પ્રકારના પ્રલોભન વગર પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા માટેની ‘મતદાન પ્રતિજ્ઞા’ લીધી હતી.






Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.