ભારત સરકારની “પ્રશાસન ગાંવ કી ઓર” પહેલના અનુસંધાને રાજ્યભરમાં ઉજવાતા સુશાસન સપ્તાહ અંતર્ગત ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાના હજાત ગામ ખાતે ક્લસ્ટર કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં નાગરિકોને સરકારની વિવિધ લોકહિતકારી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
કાર્યક્રમને સંબોધતાં રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, સુશાસન સપ્તાહની ઉજવણીનો મુખ્ય હેતુ સરકાર અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટાડવાનો છે. સામાન્ય પરિસ્થિતિમાં નાગરિકોને તેમના વિવિધ કામો માટે તાલુકા કે જિલ્લા મથકે જવું પડે છે, પરંતુ ક્લસ્ટર કક્ષાના આ કાર્યક્રમો દ્વારા આસપાસના ૮ થી ૧૦ ગામોને સાંકળીને એક સ્થળે સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી નાગરિકોને સમય અને ખર્ચ બંનેની બચત થાય છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમો થકી નાગરિકો આયુષ્માન ભારત કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં જરૂરી સુધારા-વધારા, વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન તેમજ અન્ય મહત્વપૂર્ણ સેવાઓ સ્થળ પર જ મેળવી શકે છે. સ્થળ પર જ લાભ આપવામાં આવતો હોવાને કારણે સરકારનો લોકાભિમુખ અને સંવેદનશીલ અભિગમ સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે.કાર્યક્રમ દરમિયાન આસપાસના ગામોના મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી વિવિધ વિભાગો દ્વારા ઉભા કરાયેલા સ્ટોલ્સ પરથી સેવાઓનો લાભ લીધો હતો. આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ માટે વિશેષ સ્ટોલ કાર્યરત રાખવામાં આવ્યો હતો, જેમાં આરોગ્ય ચકાસણી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લાભાર્થી નાગરિકોને રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિવિધ પ્રમાણપત્રો તથા મંજૂરી હુકમો આપવામાં આવ્યા હતા, જેના કારણે નાગરિકોમાં સરકાર પ્રત્યે વિશ્વાસ અને સંતોષની લાગણી જોવા મળી હતી.આ કાર્યક્રમમાં અંકલેશ્વરના મામલતદારશ્રી કરણસિંહ રાજપૂત, વિવિધ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા સક્રિય ભૂમિકા ભજવી હતી.






Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.