ભારત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) ગરીબ અને નબળા વર્ગના પરિવારો માટે આશિર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના અંતર્ગત ગંભીર અને મોંઘી બીમારીઓની સારવાર કેશલેસ અને પેપરલેસ રીતે વિનામૂલ્યે મળતા અનેક પરિવારોને આરોગ્ય સુરક્ષાનું મજબૂત કવચ પ્રાપ્ત થયું છે.
નેત્રંગના રહીશ ભીમજીભાઈ મોહનભાઈ પરમાર (ઉંમર ૮૨ વર્ષ) છેલ્લા એક વર્ષથી નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલ ખાતે નિયમિત ડાયાલિસીસ સારવાર મેળવી રહ્યા છે. PM-JAY કાર્ડના આધારે તેમને સંપૂર્ણ વિનામૂલ્યે સારવાર મળી રહી છે.
તેમના પૌત્રએ જણાવ્યું કે અગાઉ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં પણ આયુષ્માન કાર્ડથી દાદાની સારવાર વિનામૂલ્યે થઈ હતી. હાલ સારવાર ઉપરાંત આવન-જાવન માટેનું ભાડું પણ હોસ્પિટલ દ્વારા ચૂકવવામાં આવી રહ્યું છે, જેથી પરિવાર પર કોઈ આર્થિક ભાર રહ્યો નથી.આ જ રીતે, નેત્રંગના રહીશ શાંતિલાલ ગોરધનભાઈ પ્રજાપતિ (ઉંમર ૫૯ વર્ષ) કોરોના કાળ દરમિયાન હૃદયરોગથી પીડાતા હતા. નેત્રંગ, અંકલેશ્વર અને વડોદરાની ખાનગી હોસ્પિટલોમાં PM-JAY હેઠળ સ્ટેન્ટ મૂકવાની સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે થતાં આજે તેઓ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. આયુષ્માન કાર્ડને કારણે પોતાને નવજીવન મળ્યું હોવાનું તેમણે જણાવ્યું છે.
નેત્રંગના જ રહીશ શ્રીમતી કલ્પનાબેન અલ્પેશભાઈ જોષી (ઉંમર ૪૬ વર્ષ)ને બે વર્ષ અગાઉ કિડનીમાં પથરીની તકલીફ થતાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં PM-JAY હેઠળ સ્ટેન્ટ મૂકીને ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. હાલમાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે અને સરકારશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કરી રહ્યા છે.નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડેન્ટ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. અમરેન્દ્ર નારાયણસિંહે જણાવ્યું કે, આદિવાસી વિસ્તારમાં PM-JAY કાર્ડ અંગે નાગરિકોને સતત માર્ગદર્શન આપવામાં આવે છે. હોસ્પિટલમાં કાર્યરત PM-JAY સહાયતા કેન્દ્રના માધ્યમથી લાભાર્થીઓને તમામ સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેના પરિણામે નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા અત્યાર સુધી રૂ. ૧૧ લાખથી વધુની સારવાર ખર્ચ બચત નાગરિકોને થઈ છે.
ઉલ્લેખનીય છે કે, આયુષ્માન ભારત – PM-JAY યોજના અંતર્ગત પાત્ર દરેક પરિવારને વર્ષે રૂ. ૫ લાખ સુધીની મફત કેશલેસ સારવારની સુવિધા આપવામાં આવે છે. પરિવારના સભ્યોની સંખ્યાની કોઈ મર્યાદા નથી તેમજ સરકારી અને એમ્પેનલ થયેલ ખાનગી હોસ્પિટલોમાં હૃદયરોગ, કેન્સર, કિડની, ન્યુરો સર્જરી સહિતની ગંભીર બીમારીઓની સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ છે.PM-JAY યોજના SECC-2011 ડેટા આધારિત છે. પાત્ર લાભાર્થીઓ નજીકના CSC સેન્ટર અથવા આયુષ્માન મિત્રનો સંપર્ક કરી આયુષ્માન કાર્ડ બનાવી શકે છે અને ભારતભરમાં કોઈપણ એમ્પેનલ હોસ્પિટલમાં સારવાર મેળવી શકે છે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પાત્ર નાગરિકોને આ લોકહિતકારી યોજનાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 14555 અથવા 104 પર સંપર્ક કરી શકાય છે.






Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.