ભરૂચ – શનિવાર – રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી ૧લી એપ્રિલના રોજ ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ભરૂચ, અંકલેશ્વર, જંબુસર તથા આમોદ નગરપાલિકા માટે આગામી ૨૬મી એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા યોજાનાર છે.
આ ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને લોકશાહી સુદ્રઢ બને તેવા ઉમદા હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ચૂંટણીલક્ષી કામગીરી માટે નિયુક્ત વિવિધ નોડલ અધિકારીઓ પૈકી સ્વેપ (SVEEP) નોડલ અધિકારી તરીકે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી સ્વાતિબા કે. રાઓલની નિમણૂક કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે આજરોજ ભરૂચના મહાત્મા ગાંધી રોડ સ્થિત હોલી એન્જલ્સ કોન્વેન્ટ સ્કૂલ ખાતે આયોજિત ‘ગ્રેજ્યુએશન સેરેમની’ કાર્યક્રમ દરમિયાન વિશેષ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અને નગરજનોને સંબોધતા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડૉ. દિવ્યેશ પરમાર દ્વારા મતદાન પ્રક્રિયા વિશે વિગતવાર સમજ આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સક્ષમ લોકશાહી માટે દરેક નાગરિકનો મત કિંમતી છે. કાર્યક્રમના અંતે ડૉ. પરમાર દ્વારા ઉપસ્થિત તમામ નાગરિકોને અચૂક મતદાન કરવા માટેના ‘મતદાર જાગૃતિ પ્રતિજ્ઞા’ લેવડાવવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે ૨૬મી એપ્રિલના રોજ યોજાનાર મતદાનમાં તમામ મતદારો ઉત્સાહપૂર્વક જોડાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નૈતિક મતદાનની જવાબદારી નિભાવે.






Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.