ભરૂચ જિલ્લાના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ૧૫૧ – વાગરા વિધાનસભા મતવિસ્તારમાં ‘યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્લતીર્થ થી ઝનોર ગામ સુધી યોજાયેલ પગપાળા યાત્રામાં ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા સહીતના આગેવાન મહાનુભાવો જોડાયા હતા.
કાર્યક્રમમાં સાંસદશ્રી મનસુખભાઈએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમજ તેમના દૃઢ મનોબળને કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે. તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલીના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતાઓમાં થાય છે. દેશમાં આંતરિક સંઘર્ષ ન થાય તે માટે સરદાર પટેલે લોકોને એકજુથ કરી એકતા લાવવાનું કામ કર્યું હતું. ત્યારે સમગ્ર ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે એકતાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોનું શોષણ ન થાય તે પ્રકારે દેશના ખેડૂતો માટે સરદાર પટેલે અનેક લડતો અને સત્યાગ્રહો કર્યા હતા.
સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે આપણને ‘એક ભારત, અખંડ ભારત’ની અમુલ્ય ભેંટ આપી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે વિકસિત ભારતના સંકલ્પમાં સૌ એકતા દાખવી સમરસથી દેશની વિકાસયાત્રાને આગળ ધપાવીએ. સરદાર પટેલના પ્રયાસોના પરિણામે દેશમાં વિવિધતામાં એકતા જળવાઈ રહી છે. તેઓના આ અમુલ્ય યોગદાનને જીવંત રાખવા માં નર્મદાના કિનારે વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજની યુવા પેઢીએ સરદાર પટેલના કાર્યો માંથી પ્રેરણા લેવી જોઈએ. સરદાર પટેલે પોતાનું સમગ્ર જીવન દેશને સમર્પિત કર્યું હતું. વિકસિત ભારતના નિર્માણ માટે સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવવા પણ સાંસદશ્રીએ અપીલ કરી હતી.
યુનિટી માર્ચ દરમિયાન તથા આજુબાજુના શુક્લતિર્થ, ઝનોર ગામના લોકો પદયાત્રામાં સહભાગી થયા હતા. યાત્રા દરમિયાન મહાનુભાવોએ સરદાર પટેલ તથા પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને સરદાર પટેલના જીવન પર આધારિત ગીતોના પરિણામે વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. એકતા યાત્રામાં પોસ્ટર તેમજ તિરંગા લહેરાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ ગરબાઓ અને રાસ રજુ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણાએ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચશ્રીઓ, આગેવાનો, અધિકારીશ્રીઓ- પદાધિકારીશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ, તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.