ભરૂચના મકતમપુર સ્થિત પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રના વડા ડૉ. કે. વી. વાડોદરીયાને નવસારી કૃષિ યુનિવર્સિટીના ૨૧મા પદવીદાન સમારંભ દરમિયાન ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે બેસ્ટ રિસર્ચર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કપાસ સંશોધન વિષયમાં પીએચ.ડી. પ્રાપ્ત કરનાર ડો. કે. વી. વાડોદરીયાએ તેમની આશરે ૩૫ વર્ષની કારકિર્દી કપાસ સંશોધન ક્ષેત્રે સમર્પિત કરી છે. તેમના મહત્વપૂર્ણ સંશોધનકાર્યના પરિણામે કપાસની ૧૨ જેટલી નવી જાતોના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. ઉપરાંત તેમના માર્ગદર્શન હેઠળ દેશી કપાસની પાંચ નવી જાતો પણ વિકસાવવામાં આવી છે. ભરૂચ જિલ્લાના કાનમ વિસ્તાર દેશી કપાસના વાવેતર માટે જાણીતો હોવાથી આ જાતો ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
ડૉ. વાડોદરીયાએ વિવિધ કૃષિ અને સંશોધન સંબંધિત વિષયો પર ૨૦ સંશોધન લેખો તેમજ ૩ પુસ્તિકાઓ પ્રકાશિત કરી છે, જે વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો અને ખેડૂતો માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. તેમણે કપાસ ઉગાડતા ખેડૂતો માટે ૧૧ નવી ટેક્નોલોજી પણ વિકસાવી છે, જે ખેતીને વધુ ઉત્પાદનક્ષમ બનાવવામાં મદદરૂપ બની છે.તેઓશ્રીએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે યોજાયેલા ૧૧થી વધુ કપાસ સંશોધન સંબંધિત સેમિનારોમાં ભાગ લીધો છે, જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલ વર્લ્ડ કોટન કોન્ફરન્સનો પણ સમાવેશ થાય છે. અગાઉ પણ કપાસ સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ તેમને પ્રો. જે. પી. ત્રિવેદી એવોર્ડ તથા બેસ્ટ ઈન્ડિવિજ્યુઅલ લીડરશિપ કપથી સન્માનિત કરવામાં આવ્યા છે.
તેમના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધી ૧૨ વિદ્યાર્થીઓએ કૃષિ ક્ષેત્રમાં M.Sc. તથા Ph.D.ની ઉપાધિ પ્રાપ્ત કરી છે. ઉપરાંત અન્ય યુનિવર્સિટીઓના લગભગ ૧૬ વિદ્યાર્થીઓની થિસિસનું મૂલ્યાંકન કરી મહત્વપૂર્ણ માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે. કપાસ સંશોધન ક્ષેત્રે નવી જાતોના વિકાસ, વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને કૃષિ સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ ડો. કે. વી. વાડોદરીયાને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.






Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.