Nari Prahar

News Website

ખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનું ભાજપ સરકારનું કાવત્રું.

Views: 87
0 0

Read Time:5 Minute, 44 Second


• ખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનું ભાજપ સરકારનું કાવત્રું.
• તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના વર્કિગગ્રુપ ઓન કન્ઝ્યુમર અફેર્સ અહેવાલમાં મોટો ખુલાસો.
• MSP અને એસેન્સીઅલ કોમોડીટી અંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે એક અભિપ્રાય અને કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે ખેડૂત વિરોધી કાળા કાયદા, ભાજપાનો ખેડૂત વિરોધી ચહેરાનો પર્દાફાશ.
• કેન્દ્રની કોંગ્રેસ સરકારે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના ખેડૂતોના દેવા માફી, જમીન સંપાદનનું યોગ્‍ય વળતર, સોઈલ ટેસ્‍ટીંગ, ખાતરમાં સબસીડી, સહકારી પાક વીમા યોજના જેવા અનેકવિધ પગલાં ભર્યાં હતા.
ભાજપાની ખેડૂત, ખેતી અને ગ્રામ્ય વિરોધી નિતિ પર કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખેતી, ખેડૂતોને મજબુર અને મજદુર બનાવતા કાયદા લાવતી ભાજપ સરકાર ખેતી, ખેડૂતો અને ભારતના આત્‍મા સમાન ગામડાને તોડવા માટે અને ઉદ્યોગગૃહો-ઉદ્યોગપતિઓને મદદ કરવાનું કામ કરી રહી છે. ભાજપના ખેડૂત વિરોધી સાત પગલાંથી ખેડૂત, ખેતી અને ગામડા વિનાશ થશે. કેન્‍દ્રની ભાજપ સરકાર ખેડૂતોના હિતના નામે ભ્રામક ભાષણો કરીને ખેતી, ખેડૂતોને ગુલામ બનાવવાનું આયોજન કરી રહી છે. કેન્‍દ્રમાં જ્‍યારથી ભાજપ સરકાર શાસનમાં આવી છે ત્‍યારથી જમીન સંપાદન કાયદામાં ફેરફાર કરીને ખેડૂતોની જમીન હડપવા માટે ઉદ્યોગગૃહો-ઉદ્યોગપતિઓ માટે વ્‍યવસ્‍થા કરી આપી છે. ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ કાયદામાં એકપણ જગ્‍યાએ મીનીમમ સપોર્ટ પ્રાઈઝ(MSP)નો ઉલ્લેખ નથી. દેશના ખેડૂતોને સરકારે સુરક્ષા આપવાને બદલે અદાણી-અંબાણીને સુરક્ષા આપી મદદ કરી રહી છે. ખેડૂત અને ખેતી ખતમ થશે તો ખેતમજદૂર પણ ખતમ થશે તો કઈ રીતે હિન્‍દુસ્‍તાન બચશે ? દેશમાંથી હરિત ક્રાંતિને હટાવવા માટે ભાજપનું કાવતરું છે અને ત્રણ કાળા કાયદા જે ખેડૂત વિરોધી છે, દેશ વિરોધી છે.
ખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનું ભાજપ સરકારનું કાવત્રું ગણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વર્ષ ૨૦૦૮થી ૨૦૧૪ના સમયગાળામાં ભાજપ સરકારે કૃષિ ઉત્‍પાદન-ઉપજ પર ૫% વેરા વસુલ કરીને દર વર્ષે ૫,૦૦૦ કરોડ રૂપિયા એટલે કે ૩૦,૦૦૦ કરોડ રૂપિયા ઉઘરાવી લીધા. વર્ષ ૨૦૧૪માં કેન્‍દ્રની મોદી સરકારે કૃષિ ઉપજ, કૃષિ ઓજારો વગેરેને જીએસટીમાં આવરી લેતા ૬ વર્ષમાં માત્ર ગુજરાતના એકમો પાસેથી ૩૦,૦૦૦ કરોડ રૂપિયા વસુલી લીધા. વર્ષ ૨૦૦૮-૦૯થી ૨૦૧૮-૧૯ સુધીમાં રાજ્‍યમાં કુલ કૃષિ ઉત્‍પાદન રૂ. ૯,૪૫,૦૨૮ કરોડનું થયું હતું, જેની સામે રાજ્‍ય સરકારે આ કૃષિ ઉત્‍પાદન પર વેટ અને જીએસટી પેટે અંદાજીત રૂ. ૪૭,૨૫૧.૪૦ કરોડની કર વસુલાત કરેલ, જેની સામે કૃષિ વિભાગના બજેટમાં રૂ. ૪૭,૨૭૨.૦૩ કરોડની જોગવાઈ કરેલ હતી. એટલે કર વસુલાતની સામે કૃષિ બજેટ માત્ર રૂ. ૨૦.૬૩ કરોડ વધારે ફાળવેલ છે. ખેડૂતો અને સહાયના નામે ખાનગી વીમા કંપનીઓ નફો રળી ખાય છે. ખેડૂતો માટે રાજ્‍ય સરકારના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા છે. કોંગ્રેસ સરકારે દેશના ખેડૂતો-ખેતીને બચાવવા માટે જમીન સંપાદન અને યોગ્‍ય વળતર કાયદો બનાવ્‍યો. કેન્દ્રની કોંગ્રેસ સરકારે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના ખેડૂતોના દેવા માફી, જમીન સંપાદનનું યોગ્‍ય વળતર, સોઈલ ટેસ્‍ટીંગ, ખાતરમાં સબસીડી, સહકારી પાક વીમા યોજના જેવા અનેકવિધ પગલાં ભર્યાં છે. ભાજપ સરકારે કેન્‍દ્રમાં આવતાંની સાથે જ ત્રણ-ત્રણ વટહુકમ લાવીને ખેડૂતોને અન્‍યાય કર્યો. ફરી એક વખત ખેડૂતોના જીવન નિર્વાહના અંત માટે ત્રણ કાળા કાયદા લાવી છે. દેશમાં વર્ષ ૨૦૧૫માં તુવેરની દાળ સંગ્રહાખોરો-કાળાબજારીયાઓ અને સરકારના છુપા આશીર્વાદથી ૨૦૦ રૂપિયે કિલો થઈ ગયેલ, જે અંદાજે રૂ. ૫ લાખ કરોડ જેટલું કૌભાંડ હતું. મોંઘી વીજળી, મોંઘા બિયારણ, ખાતર, સિંચાઈના પાણી, જમીન પર વેરો અનેક પગલાંથી ગુજરાતનો ખેડૂત આર્થિક પરેશાનીનો વ્‍યાપક સામનો કરી રહી છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %